તાપી જિલ્લાના વ્યારા તાલુકા સ્થિત મદાવ ગામે બુધવારે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-સહ-પ્રદર્શન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦૦ થી વધુ પ્રગતિશીલ ખેડૂતો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે, આપણો આદિવાસી સમાજ મહેનતુ છે, પરંતુ હવે સમયની માંગ છે કે આપણે પરંપરાગત મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવીને પ્રાકૃતિક ખેતી અપનાવીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ જમીનની ફળદ્રુપતા અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય બની છે. વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. સી.ડી. પંડ્યા, પશુવિજ્ઞાન નિષ્ણાત ડો. જે.બી. બુટાણી અને મદદનીશ બાગાયત નિયામક હિતેશભાઈ પુરોહિત દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ, પશુપાલન અને સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પરિસંવાદ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કર્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ મહાનુભાવોએ ખેતીવાડી, આરોગ્ય અને આઈ.સી.ડી.એસ. વિભાગના સ્ટોલ્સની મુલાકાત લઈ ગ્રામજનોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ‘આત્મા’ પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી અલ્કેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું અને ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ ઢોલેએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે સ્થાનિક જનપ્રતિનિધિઓ, સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




Users Today : 10
Users Last 30 days : 493
Total Users : 13572