સોનગઢ તાલુકાના હીરાવાડી ગામના ડેરી ફળિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. ગત તા. 17 એપ્રિલના રોજ ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગનો લાભ ઉઠાવી અજાણ્યા તસ્કરોએ એક જ રાતમાં ત્રણ મકાનોના તાળા અને બારીના સળિયા તોડી કુલ રૂ.30,500 ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે.
મળતી વિગત મુજબ, હીરાવાડી ગામના ડેરી ફળિયામાં રહેતા અને કડિયાકામ કરતા સંદિપભાઈ છનાભાઈ ગામીત (ઉ.વ.26) ગત શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે તેમના પડોશમાં રહેતા નિતેશભાઈ ગામીતના લગ્નમાં જમવા માટે ગયા હતા. રાત્રે અગીયાર વાગ્યે તેઓ જમીને પરત આવ્યા ત્યારે બધું સામાન્ય હતું. પરંતુ, મોડી રાત્રે અઢી વાગ્યે તેમના ભાઈ રવિન્દ્રએ જોતા ઘરનો સામાન વેરવિખેર હતો અને લોખંડના કબાટના દરવાજા ખુલ્લા હતા. તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સે ઘરની બારીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલો બચતના પૈસાનો પતરાનો ગલ્લો (ડબ્બો), જેમાંરૂ.20,000 રોકડા હતા, તેની ચોરી કરી હતી.
ચોરીની ઘટનાની જાણ થતા ફળિયાના લોકો ભેગા થઈ ગયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તસ્કરોએ સંદિપભાઈના પડોશીઓને પણ નિશાન બનાવ્યા હતા.દાઉદભાઈ જયતાભાઈ ગામીતના ઘરની છતના નળિયા ખસેડી તસ્કરો અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂ.10,000 ની ચોરી કરી હતી.જયારે રમીલાબેન નગીનભાઈ ગામીતના ઘરની બારીના સળિયા તોડીને કબાટમાં રાખેલા રૂ.500 ની ચોરી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે સંદિપભાઈ ગામીતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.




Users Today : 6
Users Last 30 days : 264
Total Users : 13936