વાલોડ તાલુકાના બેડકુવા ગામે એક ચોંકાવનારો પારિવારિક ઝઘડો સામે આવ્યો છે. સાંજના સમયે જમવા કેમ ન બોલાવ્યો તે બાબતે ઉશ્કેરાઈને એક પિતાએ પોતાના જ પુત્ર પર પથ્થર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં વચ્ચે બચાવવા આવેલા માતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બેડકુવા ગામના ખોખરા ફળિયામાં રહેતા રોશનકુમાર ચૌધરીએ તેમના પિતા કાંતિલાલ મગનભાઈ ચૌધરી વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે, સવારના સમયે આરોપી પિતાએ ઘરે આવીને ‘મને સાંજે જમવા કેમ નહોતો બોલાવ્યો’ તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. પુત્ર રોશનકુમાર પિતાને સમજાવવા જતાં, પિતા કાંતિલાલ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને આંગણામાંથી પથ્થર ઉપાડી પુત્ર તરફ છૂટો ફેંક્યો હતો. આ દરમિયાન પુત્ર ખસી જતાં પથ્થર પાછળ ઉભેલા માતા શંકુતલાબેન (ઉં.વ.૫૨) ના માથાના ભાગે વાગ્યો હતો. પથ્થર વાગવાથી તેઓ નીચે પડી ગયા હતા અને જમીન પરનો અન્ય પથ્થર પણ માથાના પાછળના ભાગે વાગી જતાં લોહીલુહાણ થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહિલાને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે માંડવી સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને માથાના ભાગે સાત ટાંકા આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેઓ (ICU) વોર્ડમાં સારવાર હેઠળ છે. વાલોડ પોલીસે આ મામલે ઠળ ગુનો નોંધી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશકુમાર ચૌધરીને વધુ તપાસ સોંપી છે.




Users Today : 4
Users Last 30 days : 107
Total Users : 14394