ગુણસદા ખાતે શ્રી અન્નના આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ, તેમાં મુલ્યવર્ધન વિષય ઉપર મહિલા શિબિર અને પોષક અનાજ(Millet)વાનગી હરીફાઈ યોજાઈ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા તથા સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન-સોનગઢ અને ઇફકો-તાપીના સંયુક્ત ઉપક્રમે માન.કુલપતિશ્રી ડૉ.ઝેડ. પી.પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગુણસદા ખાતે તા. ૨૬/૦૯/૨૦૨૪ રોજ રાષ્ટ્રિય પોષણ માસ-૨૦૨૪, સ્વચ્છતા હી સેવા અને કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણી અંતર્ગત મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્ય વિષય ‘પોષક અનાજ(શ્રીઅન્ન)ના પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ ફાયદાઓ અને તેમાં મુલ્યવર્ધન’ હતો. સદર કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની કુલ ૬૫ થી વધુ આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. વધુમાં, કાર્યક્રમની શરૂઆતમાં પોષક અનાજ(Millet)વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોનગઢ-તાલુકાના વિવિધ ગામની આદિવાસી મહિલાઓએ વિવિધ પોષક અનાજની વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી. વિવિધ પોષક અનાજની વાનગીઓનું મૂલ્યાંકન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિકશ્રી પ્રો. આરતી એન.સોનીએ રાષ્ટ્રિય પોષણ માસ અને કૃષક સ્વર્ણ સમૃદ્ધિ અઠવાડિયાની ઉજવણીનું મહત્વ સમજાવી તેમણે પોષણની દ્રષ્ટિએ વિવિધ પોષક અનાજ(મિલેટ)ના ફાયદાઓ અને તેની વિવિધ મુલ્યવર્ધિત બનાવટો વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત, તેમણે સ્વચ્છતા હી સેવાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતાનું માનવ સ્વાસ્થ્યના મહત્વ વિશે સમજણ આપી હતી. કે.વિ.કે., વ્યારાના પાક સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડો.એચ.આર.જાદવએ હલકાં ધાન્ય પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ વિશે જાણકારી આપી હતી. ઉપરાંત, કેવિકે-વ્યારાના બાગાયત વિભાગના વૈજ્ઞાનિક ડો.ધર્મિષ્ઠા એમ. પટેલએ ન્યુટ્રીશનલ કિચન ગાર્ડનિંગ વિશે ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન પુરું પાડયું હતું. ત્યારબાદ પોષક અનાજ(મિલેટ) વાનગી હરીફાઈમાં વિજેતા પામેલ મહિલાઓને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારાના વૈજ્ઞાનિકશ્રીઓ અને ઇફકો-તાપીના ફિલ્ડ ઓફિસર દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે અધિકારીશ્રીઓ તથા આદિવાસી મહિલાઓએ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા શપથ લીધી હતી. શ્રી અંકિતભાઈ પ્રજાપતિ (ઈફકો-વ્યારા) દ્વારા ઈફકોની વિવિધ પેદાશો અને નવીન પ્રકારના ખાતરો વિશે માહીતી આપવામાં આવી. સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશનના શ્રી જિતેન્દ્ર પાલએ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કરી હતી.




Users Today : 5
Users Last 30 days : 907
Total Users : 11411