વ્યારાના જેસીંગપુરા ગામની સીમમાં ગત રવિવારે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 47 વર્ષીય શૈલેષભાઈ રમેશભાઈ ચૌધરીનું સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ મામલે વ્યારા પોલીસે મોપેડ ચલાવનાર મૃતકના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે પાનવાડીની નંદનવન સોસાયટીમાં રહેતા અને કાકરાપાર અણુમથકમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ ચૌધરી ગત 12 એપ્રિલના રોજ સાંજે તેમના મિત્ર ફજલ હુસૈન પઠાણ સાથે તેની મોપેડ GJ-26-AL-3291 પર સવાર થઈ જેસીંગપુરા ગયા હતા. રાત્રિના આશરે પોણા આઠ વાગ્યાના અરસામાં પરત ફરતી વખતે ઉનાઈ-વ્યારા રોડ પર મોપેડ ચલાવી રહેલા ફજલે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ થઈ ગઈ હતી.
આ અકસ્માતમાં શૈલેષભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ સોમવારે બપોરે તેમનું કરુણ મોત નિપજ્યું હતું.મૃતકની પત્ની કૈલાશબેન ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અકસ્માત બાદ ડરના માર્યા ફજલ ત્યાંથી જતો રહ્યો હતો અને મોડો જાણ કરી હતી. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




Users Today : 6
Users Last 30 days : 264
Total Users : 13936