આજના આધુનિક યુગમાં જ્યારે દરેક પેઢી ડિજિટલ સ્ક્રીન પાછળ દોટ મૂકી રહી છે, ત્યારે બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવાના હેતુથી વ્યારા ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એક પ્રેરણાદાયી વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી ‘બચ્ચો કે સ્માર્ટ દુશ્મન… સ્ક્રીનથી સાવધાની’ વિષય હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સેંકડો વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન એક વિશેષ વીડિયો ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જો વાલીઓ બાળકોના સ્ક્રીન ટાઈમ (મોબાઈલ, ટીવી, ટેબ્લેટ) પર ધ્યાન નહીં આપે, તો કેવી ગંભીર પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત વાલીઓએ સ્ક્રીનનો સાવધાનીપૂર્વક અને મર્યાદિત ઉપયોગ કરવાનો તેમજ કરાવવાનો મક્કમ સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે અનેક વાલીઓએ પોતાના સ્વાનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યાં વાલીઓ જાગ્રત હોય છે ત્યાં બાળકોના વિકાસમાં કેવા હકારાત્મક પરિણામો મળે છે.વક્તાઓએ ભાર મૂક્યો હતો કે બાળકો પાસે અનંત શક્તિઓ રહેલી છે, જો તેને યોગ્ય દિશામાં વાળવામાં આવે તો અદભુત પરિણામો પ્રાપ્ત થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી BAPS ના બાળ કાર્યકરો વર્ષોથી ગામોગામ આવા કાર્યક્રમો દ્વારા સામાજિક જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.વ્યારામાં હાલ આરસનું ભવ્ય અને દિવ્ય શિખરબદ્ધ મંદિર આકાર લઈ રહ્યું છે, ત્યારે તેના ઉપલક્ષમાં ગત રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ ના રોજ વ્યારા ‘અક્ષરવાડી’ ખાતે આ સભા સંપન્ન થઈ હતી. એકાદશીના પવિત્ર દિવસે યોજાયેલા આ કાર્યક્રમના અંતે સૌ હરિભક્તો અને વાલીઓ ફરાળી મહાપ્રસાદ લઈ ધન્યતા સાથે વિદાય થયા હતા.




Users Today : 5
Users Last 30 days : 412
Total Users : 13739