સોનગઢ-નવાપુર નેશનલ હાઇવે નંબર-૫૩ પર ગત મહિને સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પિતાની અંતિમક્રિયા અને અન્ય વિધિઓમાં વ્યસ્ત હોવાને કારણે પુત્રએ મોડી ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે સફેદ કલરની સ્વીફ્ટ કારના અજાણ્યા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત તા. ૧૫મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ રાત્રે આશરે ૦૮: ૩૦ વાગ્યે શિવનગરના રહેવાસી દીપકભાઈ જોલુભાઈ વસાવા (ઉં.વ.૫૦) સોનગઢ દુર્ગા આર્કેટ સામેથી નેશનલ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે સોનગઢથી નવાપુર તરફ જતી એક પૂરઝડપે આવતી સફેદ કલરની સ્વીફ્ટ જેવી ફોર વ્હીલ ગાડીએ તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં દીપકભાઈને કપાળ અને કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે કાર ચાલક અકસ્માત સર્જી પોતાની ગાડી લઈ નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત દીપકભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સોનગઢ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ ગંભીર હાલત જણાતા તેમને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ વહેલી સવારે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પુત્ર રાહુલભાઈ વસાવાએ પિતાની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તા.૦૮મી માર્ચે રોજ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.




Users Today : 9
Users Last 30 days : 341
Total Users : 13395