વાલોડના બાજીપુરા બાયપાસ હાઇવે માર્ગ પર ત્રીપ્પલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં બુલેટ પર સવાર ૨ લોકો તથા ખાનગી લકઝરી બસના ૨૧ જેટલા મુસાફરો સહિત આશરે ૨૩થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી બુલેટ ચાલકની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો પ્રમાણે વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર તા.૨૮મી નારોજ હાઇવે માર્ગ પર દોડતી ટ્રક નંબર જીજે/૦૬/એએક્સ/૩૨૨૨ ના ચાલકે ટ્રક અચાનક ધીમી પાડી દેતા ટ્રકમા ભરેલ મકાઈની ગુણો સાથે બોડીનો ભાગ ચેસીસથી છુટો પડી રોડ ઉપર ટ્રક આડી થઈ ગઈ હતી, જોકે તે દરમિયાન પાછળ આવતી બુલેટ મોટર સાયકલ નંબર જીજે/૨૬/એએચ/૮૯૦૮ અથડાઈ હતી. જેમાં બુલેટ ચાલક આર્યનભાઈ અજીતભાઈ ગામીત (રહે.ચીમકુવાગામ અક્ષર ફળીયુ તા.સોનગઢ)ને મોઢાના ભાગે તથા ગળાના ભાગે તથા છાતીના ભાગે ઈજા પહોંચી હતી તથા પાછળ બેસેલ ફ્રેઈન્સકુમાર વિપુલભાઈ ગામીત (રહે.ચાકળીયાગામ દાદરી ફળીયુ તા.સોનગઢ)ને કપાળના ભાગે તથા ડાબા પગના ઘુંટણના ભાગે ઈજા પહોંચી હતી.
દરમિયાન પાછળથી આવતી ખાનગી કંપનીના લકઝરી બસ નંબર એનએલ/૦૭/બી/૦૮૮૪ના ચાલકે મુસાફરો ભરેલી બસના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસના ચાલકે બુલેટ મોટર સાયકલને અડફેટે લીધા બાદ બસ પલટી થઇ હતી, આ અકસ્માતના બનાવમાં બસમાં સવાર ૨૧ મુસાફરો સહિત આશરે ૨૩થી વધુ લોકોને ઓછીવત્તી ઈજાઓ પહોંચી હતી.બનાવ અંગે બુલેટ મોટર સાયકલ ચાલક આર્યનભાઈ ગામીતની ફરિયાદના આધારે વાલોડ પોલીસે બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.




Users Today : 16
Users Last 30 days : 1356
Total Users : 12910