માર્ગ સલામતી માસ અંતર્ગત બુધવારે એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વિદ્યાર્થીનીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા લાવવા માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન ‘કે. કે. કદમ કન્યા વિદ્યાલય’ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરક્ષિત ડ્રાઈવિંગ અને કાયદાકીય જોગવાઈઓ વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મોટર વાહન નિરીક્ષકશ્રી એસ. એ. રાવલે સ્પીડ કેમેરા અને ઇ-ચલાન સિસ્ટમની કાર્યપદ્ધતિ સમજાવતા જણાવ્યું હતું કે, આ આધુનિક સિસ્ટમનો મુખ્ય હેતુ દંડ વસૂલવાનો નહીં પરંતુ નાગરિકોને નિયમોનું પાલન કરતા કરી અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે.વધુમાં હેલ્મેટ અને સીટબેલ્ટની અનિવાર્યતા, ટ્રાફિક ગુનાઓ માટે દંડની જોગવાઈ અને કાનૂની કાર્યવાહી વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાના પરિવારને પણ જાગૃત કરી શકે… માર્ગ સલામતીના 4 E ચાર સ્તંભો – ઇજનેરી (સુરક્ષિત રસ્તા), એજ્યુકેશન (શિક્ષણ), એન્ફોર્સમેન્ટ (કડક કાયદા) અને ઇમરજન્સી કેર (તાત્કાલિક સારવાર) પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓએ માર્ગ સલામતીના સામૂહિક શપથ લીધા હતા અને એક જવાબદાર નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી.




Users Today : 2
Users Last 30 days : 425
Total Users : 13731