ખેડૂતોને તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી “રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ની સ્થિતિએ રાજ્યભરમાંથી ૩૩,૮૬૩ ખેડૂતોએ નોંધણી કરાવી છે.
હાલમાં પણ ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કાર્યરત છે.રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત આગામી તા. ૦૧ માર્ચ ૨૦૨૫થી ઘઉંની ખરીદી કરવામાં આવશે. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ૧૯૪ ખરીદ કેન્દ્રો અને જે જિલ્લાઓમાં વધારે નોંધણી થઈ હોય અને ગોડાઉન ખાતે પૂરતી સંગ્રહશક્તિ ઉપલબ્ધ ન હોય તેવા જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ APMC ખાતે ૨૦ નવા ખરીદ કેન્દ્રો એમ કુલ ૨૧૪ ખરીદ કેન્દ્રો ઉભા કરવામાં આવશે.
આ ઓનલાઇન નોંધણી માટે ખેડૂતની આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭/૧૨, ૮-અની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ન થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે રાખવાના રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તો આ માટે ઓનલાઇન નોંધણી કરવી ફરજિયાત છે.
વધુમાં, ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ-કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ પણ નહી કરવામાં આવે.
નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭થી નિગમના FPP પોર્ટલ ઉપર નોંધણી કરાયેલ ૨.૫૮ લાખથી વધુના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી અંગેની માહિતી SMS મારફતે કરવામાં આવી છે.




Users Today : 29
Users Last 30 days : 781
Total Users : 11249